
નવસારી : એક શિક્ષક સમર્પણભાવથી, પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે. શિક્ષકની શક્તિ અપરંપાર છે. શિક્ષણથી મોટું પવિત્ર કર્મ બીજું કોઈ નથી. આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષક રાષ્ટ્ર નિર્માતા, સમાજ નિર્માતા અને પરિવાર નિર્માતા છે. સુખ અને શાંતિનો આધાર શિક્ષક છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ટાગોર હૉલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના ૨૮ શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માન કર્યું હતું. નવસારી જિલ્લા માટે ગર્વની બાબત છે કે નવસારી જિલ્લાના બે શિક્ષકોની પસંદગી ‘શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક’ તરીકે થઇ હતી.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગર અને મ..ની.ના.ઉ.મા શાળા મણિનગર ગણદેવાના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ તથા નવસારી તાલુકાના બીઆરસી રિસોર્સ સેન્ટર, ઇટાળવાના બી.આર.સી કોર્ડીનેટર શ્રી શશિકાન્ત જેરામભાઇ ટંડેલને આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેના માટે સમગ્ર નવસારી જિલ્લા તંત્ર દ્વારા બન્ને શિક્ષક મિત્રોને નવસારી જિલ્લાનું ગૌરવ વધારવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.