Read Time:2 Minute, 12 Second
હત્યાના ગુનામાં પણ સીધી ફરિયાદ દાખલ કરવાને સ્થાને પહેલા અરજી લેવામાં આવે તો નવાઈ પામવા જેવું નથી એ હદે તંત્ર નફ્ફટ બની ગયું છે. આ પરિસ્થિતિનું એક કારણ એ પણ છે કે દેશમાં કઈ કોર્ટમાં કેટલા કેસ પેન્ડિંગ છે તેનો રેકોર્ડ મળી શકે છે પરંતુ કયા વિભાગમાં કેટલી અરજીઓ પેન્ડિંગ છે તેનો રેકોર્ડ જાહેર કરવામાં આવતો નથી. ગટર, રોડ રસ્તા કે લાઈટોથી લઈને અબજો રૂપિયાના ભ્રષ્ટાચારની અરજીઓ અલગ અલગ કબાટોમાં ધૂળ ખાઈ રહી છે પણ વાંચીને કાર્યવાહી કરે તે બીજા. એક દ્રષ્ટિએ જોઈએ તો આ એક રાષ્ટ્રીય સમસ્યા છે જેનો ઉકેલ નહિ આવવા માટે દરેક વિભાગ પાસે અલગ અલગ કારણો હાજર જ છે પણ ઉકેલ માટેની કોઈ યોજના અમલમાં નથી.
ગમે તેવી ગેરરીતિની અરજી કરો પણ જ્યાં સુધી કોઈનો ભોગ ના લેવાય ત્યાં સુધી તપાસ નહિ કરવી એવી પ્રતિજ્ઞા લઈને જ કામ ઉપર આવતા કર્મચારીઓ અને અધિકારીઓનું એક જ સૂત્ર હોય છે " ભલે લખો અરજી પણ વાંચવી ના વાંચવી એ અમારી મરજી ". એક દેશ એક ફરિયાદ કેન્દ્ર જેવી યોજના અમલમાં મૂકી દરેક વિભાગને એક ફરિયાદ વિભાગ દ્વારા જ અરજી મોકલવામાં આવે તો દેશની તમામ સમસ્યાઓ એક જ વિભાગ પાસેથી જાણી શકાય જો તેની માહિતી જાહેર કરાવામાં આવતો તો...
અરજી આપીને એક ટેબલથી બીજા ટેબલની સફરે નીકળેલા સામાન્ય નાગરિકોની યાત્રા ભ્ર્ષ્ટાચાર વગર યોગ્ય સમયમાં સુખદ મુકામે પહોંચે તો જીવતા સ્વર્ગ જોયા જેવી લાગણી થયા વગર રહે નહિ પણ આ લાગણી દરેક નાગરિકના નસીબમાં નથી એ દેશની સૌથી મોટી કમનસીબી છે.
એહવાલ : યતિન શુક્લ