
જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર બીનજામીનલાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે
નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે. અને સ્થાપના બાદ ધાર્મિક રીત રિવાજ મુજબ પ્રસંગ વિત્યા બાદ મૂર્તિઓની નદી, તળાવ તથા દરિયાના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. દેવી/દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં કેમીકલયુકત રંગોનો ઉપયોગ થાય છે. આવી મૂર્તિઓની નદી, તળાવ તથા દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. આ મૂર્તિઓ પાણીમાં ભળવાથી પાણીમાં રહેતા જળચર જીવો, માછલીઓ વિગેરેનું મૃત્યુ થાય છે. જેના કારણે પાણી તથા પર્યાવરણને નુકશાન થાય છે.
મૂર્તિઓના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ દરિયા,નદી, તળાવના પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવાના હતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વાય.બી.ઝાલાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન તાત્કાલિક અસરથી આગામી તા.૨૯-૦૫-૨૦૨૫ સુધી દેવી-દેવતાઓની બનાવટમાં તથા વિસર્જન સમયે કેટલાંક પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે.
જેમાં પી.ઓ.પી. મૂર્તિઓ વિસર્જન સમયે, નદીઓ/તળાવના કિનારે રાખવી, નદી/તળાવમાં પધરાવવી નહી. તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહિ. મૂર્તિઓની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાઇ તેવા કોઇ ચિન્હો કે નિશાનીઓ રાખવી નહી. મૂર્તિકારોએ વેચાણ ન થયેલ તથા બનાવટ દરમિયાન ખંડિત થયેલ મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડી મૂકવી નહી. આયોજકોએ ૯ (નવ) ફૂટથી વધારે ઉંચાઇની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહિ એટલે કે વિસર્જન-સરઘસમાં સામેલ ગણેશજીની પ્રતિમાની કુલ ઉંચાઇ નવ ફૂટથી વધારે રાખવી નહિ. મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલીગત ચીકણી માટીનો ઉપયોગ કરવો. મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવો. ઝેરી અને ઉતરતી કક્ષાના સીન્થેટીક, રસાયણ કે કેમીકલ, ડાયયુકત રંગોનો જ ઉપયોગ કરવો નહિ. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે છે તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહી. તે અંગે નગરપાલિકા તથા સક્ષમ સ્થાનિક સંસ્થાએ તકેદારી રાખવી. નવસારી જિલ્લા બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો/વેપારીઓને પણ આ નિયમો લાગુ પડશે. મૂર્તિ વિસર્જન થયા બાદ તમામ પંડાલ/મંડપ બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા નહી.