
વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી બનેલા ગણપતિ આકર્ષણનું કેન્દ્ર, દર્શન કરનારાને ભક્તિ સાથે પર્યાવરણનો પાઠ
વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગ એ સૌથી મોટો પ્રશ્ન છે. જેનાથી વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારીમાં ગણપતિ સ્થાપનમાં પણ વૃક્ષ બચાવવાનો સંદેશ અપાયો છે. નવસારી શહેરમાં તુલસીવન સોસાયટીમાં નવયુવક ગણેશ મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે.
નવસારી શહેરમાં વ્યાપક પ્રમાણમાં ગણેશ મંડળો દ્વારા માટી, ધાસ અને લાકડામાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા એક દાયકાથી પર્યાવરણ અર્થે જાગૃતિના સંદેશ પાઠવામાં આવી રહ્યા છે. આ ચાલુ વર્ષે પણ નવસારી શહેરના છાપરા રોડ ખાતે તુલસીવન સોસાયટીમાં વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં માટી સાથે વૃક્ષની છાલ અને ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે. સાથો સાથ પ્રતિમાની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે. જેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટેલી ડાળીઓ અને વેલાઓનો ઉપયોગ કરી મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે.
આ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 90 દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ પ્રતિમાની ઊંચાઈ 9 ફૂટ છે. આ યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. હાલ સમગ્ર નવસારીમાં લાકડાની છાલ માંથી બનાવવામાં આવેલી આ શ્રીજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.
નવસારીનાં છાપરા રોડ વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે.