આહવા: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ, રાજ્યના તમામ જિલ્લાઓમા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજ આપવામા આવી રહી છે. ત્યારે દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ડાંગ પણ, પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા, અને વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિથી અવગત થાય તે માટે, વિવિધ તાલુકાઓના ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપવામા આવી રહી છે.
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ગોંડલવિહીર ક્લસ્ટરમા સમાવિષ્ટ નાંદનપેડા ગામમા પણ, તાજેતરમા આવી જ એક પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. જેમા કુલ-૨૬ ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામા આવી હતી.




