
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે.
નવસારીઃ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશની કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા બાબતે જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને ભાગીદારી વધારવા અને લોકોમાં સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા ના સૂત્રને કાયમી ધોરણે ટકાવી રાખવાના હેતુથી તા.૧૭/૦૯/૨૦૨૪ થી તા.૦૨/૧૦/૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ સમગ્ર રાજયમાં શરૂ થઇ રહયો છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ તા.૧૭ મી સપ્ટેમ્બર-૨૦૨૪ થી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે.
નવસારી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન કાર્યક્રમ અનુસાર તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ નવસારી તાલુકામાં તેલાડા, આમડપોર, કુંભાર ફળિયા, પીનસાડ-સરોણા, પેરા ગામે, જલાલપોર તાલુકામાં ભુતસાડ, એથાણા,કોથમડી અને કલથાણ ગામે, ખેરગામ તાલુકામાં તોરણવેરા, જામનપાડા અને નડગધરી ગામે, ગણદેવી તાલુકામાં દેવધા, છાપર, કલમઠા, મોરલી, ભાઠા ગામે, વાંસદા તાલુકામાં રવાણીયા, ખાંભલા, કંબોયા, દોલધા, ચાપલધરા અને ચોરવણી ગામે યોજાશે.
લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે એવા શુભ આશયથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. જ્યાં ગંદકી થતી હોય એવા સ્થળોની ઓળખ કરીને કાયમી સફાઈ થાય તેમજ પ્લાસ્ટિક જેવા પર્યાવરણને નુકસાનકર્તા પરિબળોનો નિકાલ અને જાહેર ઉદ્યાનો, દરિયાઈ વિસ્તાર, શાકમાર્કેટ, ઉદ્યોગોના વિસ્તાર જેવા સ્થળોએ ઝૂંબેશના રૂપે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. નાગરિકોને આ અભિયાનમાં સહભાગી બને અને સ્વચ્છતા માટે નાગરિકોમાં એક આદત કેળવાય એવા શુભહેતુસર સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને તેમની આસપાસનો વિસ્તાર સ્વચ્છ કરી નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.