
નવસારી : નવસારી જિલ્લામાં બહારના રાજયોમાંથી તથા ગુજરાતના અન્ય વિસ્તારમાંથી અગર દેશ બહારથી આવતાં ત્રાસવાદી/અસામાજીક તત્વો કોઇના મકાન, ધંધાનો એકમો ઓફિસો ભાડે રાખી રહેતા હોય છે. અને જગ્યા વિગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિતી વાકેફ થઇ તેઓની ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. ભાડાના મકાન, કારખાના, ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતિય કારીગરો તથા ગુજરાતના અન્ય વિસ્તારના લોકો ગંભીર પ્રકારના ગુનાઓ આચરી વતન ભાગી જતા હોય છે, જેના કારણે ગુનાઓ વણ શોધાયેલા રહેવા પામે છે. લુંટ, ધાડ, ખુન, અપહરણ જેવા ગંભીર ગુનાઓ રોકવા અતિ આવશ્યક છે. જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વાય.બી.ઝાલાએ મળેલી સત્તાની રૂએ સમગ્ર જિલ્લાના તમામ કારખાનેદારો, વાણિજય એકમો, ઉત્પાદન એકમો, જુદા જુદા પ્રકારની સેવા મેળવતા એકમોને, મકાન બાંધકામ સાથે સંકળાયેલા બિલ્ડરો, ખાનગી એકમોના માલિકો, શૈક્ષણિક એકમોના માલિકો, મેનેજમેન્ટ સ્ટાફ, કર્મચારી, કારીગરો, મજૂરો કે જેઓ હાલમાં કામ ઉપર છે. તેની કર્મચારી/મજૂરોની માહિતી તા.૨૦/૦૪/૨૦૨૫ સુધીમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત પત્રકમાં આપવા એક હુકમમાં જણાવ્યું છે. માહિતીમાં માલીકનું નામ, સરનામું, ટેલિફોન- મોબાઇલ નંબર તથા ધંધાની વિગત, કર્મચારીઓ, કારીગરો, મજુરનું પુરુ નામ ઓળખચિન્હ તથા સરનામું, ટેલિફોન નંબર તથા બે થી ત્રણ સગા સંબંધીઓના નામ-સરનામા, નોકરીએ રાખ્યાની તારીખ, કોના રેફરન્સ, પરિચયથી નોકરી રાખેલ છે તેનું નામ, સરનામું, ટેલિફોન નંબર, નોકરનો ફોટો આપવાનો રહેશે.
તેમજ મકાન/ દુકાન/ ઓફિસ, ઓદ્યોગિક એકમ ભાડે આપેલ હોય તો તેની વિગત, કયા વિસ્તારમાં અને ચો.મી. બાંધકામની વિગત, માલિકનું નામ તથા સરનામું, ટેલિફોન નંબર, તથા બે થી ત્રણ સગા સંબંધીઓના નામ-સરનામા, તેનું નામ-સરનામું, ટેલિફોન નંબર, જે તે પોલીસ સ્ટેશન ખાતે દિન-૦૫ માં વિગતો આપવાની રહેશે.
આ હુકમ નવસારી જિલ્લામાં તત્કાલિક અસરથી તા.૨૧-૦૩-૨૦૨૫ થી તા.૧૯-૦૫-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. માહિતી આપવાનો ઇન્કાર કે અધુરી માહિતી આપનાર જાહેરનામાનો ભંગ થયેલો ગણાશે. તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ, ચુંટાયેલી સંસ્થાઓને ઉપર મુજબનો હુકમ લાગુ પડશે નહિ.