
રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ સાથે નવસારી પોલીસ સજ્જ બની છે. આજ રોજ નવસારી જિલ્લામાં 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીને એલસીબી કચેરી ખાતે રાઉન્ડઅપ કરી જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનાહિત પ્રવૃતિઓ છોડવા સૂચના પાઠવી છે. વધુમાં તેમને ગુનેગારી છોડો અથવા ગુજરાત છોડો જેવા સૂત્ર જીવનમાં અપનાવાના હાકલ કરી છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવા ઉદ્દેશ સાથે નવસારી પોલીસ એકશનમાં આવી છે. આજ રોજ નવસારી જિલ્લામાં આવેલ બુટલેગરો, જુગારીઓ અને NDPS ગુનામાં સંડોવાયલા આરોપીને નવસારી LCB કચેરી ખાતે રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે ગુનાહિત પ્રવૃતિઓ છોડવા કડક શબ્દોમાં સૂચના પાઠવી છે. જેમાં તેમને પૂછપરછ કરી કાયદામાં રહેવા માટે સમજ આપવામાં આવી છે. આવા આરોપીઓ જો કાયદામાં ન રહે તો તેમના વિરુદ્ધ પગલાં લઈને જેલમાં મોકલવા સુધીની કાર્યવાહી કરવા જણાવ્યું છે. ગુનેગારી છોડો કા ગુજરાત છોડો જેવા સૂત્ર તેમને જીવનમાં અપનાવાના હાકલ કરી છે. આ સાથે પુરુષ આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી. તથા અલગ અલગ ગુનાઓમાં આવેલા મહિલાઓને સમાજમાં ફરી મુખ્ય ધારામાં જીવન જીવે તે માટે પોલીસનો સંપર્ક કરવામાં આવશે તો તેવી મહિલા આરોપીઓને રોજગારીની તકો આપવાની વાત કરી છે.