
નવસારી : ગુજરાત સરકાર ખેડૂતોને ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન મેળવવા તથા જળ, જમીન અને વાયુ પ્રદૂષણ અટકાવવા અને ફળ, શાકભાજી અને અન્ન પેદા કરવા માટે ગાય આધારીત પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા અથાગ પ્રયાસ હાથ ધરી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ જીલ્લાના ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ ,નવસારી આત્મા યોજના અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટીના સહિયાર પ્રસારથી ત્રણ દિવસની પ્રાકૃતિક ખેતીના મહત્વ અને ફાયદાઓ વિશેની તાલીમ યોજાઈ હતી.
આ પ્રાકૃતિક કૃષિ તાલીમમાં નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ.કે.એ.શાહે ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરી કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવતી ખેડૂતલક્ષી વિવિધ પ્રવૃતિઓ વિશેની છણાવટ કરતાં પ્રાકૃતિક ખેતી શા માટે ખેડૂતોએ અપનાવવી જોઈએ તે વિશેની ઉડાણપૂર્વક સમજણ આપી હતી. વધુમાં પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત/ઘનજીવામૃત, બીજામૃત, મિશ્રપાક/આંતરપાક, આચ્છાદન અને વાફસા (વરાપ) સિધ્ધાંતો વિશેની વિગતવાર માહિતી આપી હતી.
આ તાલીમમાં વૈજ્ઞાનિક ડૉ.નિલેશ કવાડે ખેતી પાકોમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે વનસ્પતિજન્ય વિવિધ જંતુનાશકો જેવી કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર વગેરે બનાવીને સમયસર છંટકાવ કરવા માટેના સૂચનો કર્યા હતાં. કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રીમતિ દિક્ષીતા પ્રજાપતિએ બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતી અંગેની વિસ્તૃત સમજણ પૂરી પાડી હતી.
અત્રેના વૈજ્ઞાનિક નિતલ પટેલે ઉપસ્થિત બહેનોને બાગાયત અને અન્ય પાકોમાંથી મૂલ્યવર્ધિત બનાવટો થકી આત્મનિર્ભર બનાવવા માટે હાંકલ કરી હતી. આ તાલીમમાં નવસારી જિલ્લાના ૪૫ થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને યુનિવર્સિટીમાં કાર્યરત પ્રાકૃતિકકેટીના વિવિધ વિભાગો જેવા કે સજીવ ખેતી સેલ, પોસ્ટ હાર્વેસ્ટ વિભાગ, કેવિકેના પ્રાકૃતિક ખેતીના પ્લોટ, સરદાર સ્મૃતિ કેન્દ્ર વગેરેની મુલાકાત દ્વારા પણ પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.