
રૂા.૨૪,૧૮,૮૧૮/- ના કુલ ૧૫ કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી સમાધાન
નવસારીઃ મદદનીશ નિયામક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, નવસારીની યાદીમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી ખાતે તા.૧૪ મી સપ્ટેમ્બર ના રોજ કુલ ૩૧ કેસોનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે પૈકી રૂ.૨૪,૧૮,૮૧૮/- ના કુલ ૧૫ કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી સમાધાન કરાવી, પક્ષકારોને ન્યાય મળે એ શુભ આશયથી પ્રમુખશ્રી કેતન દસોંદી તથા સભ્યશ્રી જયકૃષ્ણ મેવાવાળા તથા કન્સીલીએટર શ્રી આશિષ બારોટ તેમજ વકિલશ્રી એસ.ડી.શર્મા, શ્રી ડી.એન.મિસ્ત્રી, શ્રીમતી કે.એ.તિવારી તથા શ્રી એન.ડી.વકિલના સઘન પ્રયાસો દ્વારા લોક અદાલતને અનેરી સફળતા પ્રાપ્ત થઇ હતી.
આ રાષ્ટ્રીય લોક અદાલતમાં એક મેડિકલ નેગ્લિજન્સીના કેસમાં સમજાવટના અંતે ડોક્ટર અને મૃતક દર્દીના વિધવા પત્નિ વચ્ચે સુખદ સમાધાન થયેલુ હતું. આમ એકંદરે લોક અદાલતને ધારી સફળતા પ્રાપ્ત થયેલી અને વર્ષોવર્ષ આવી લોક અદાલત યોજવા વકીલશ્રીઓ તથા પક્ષકારો તરફથી રજુઆત કરવામાં આવી હતી.