
૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઓલ ઇન્ડિયા ચેરમેન શ્રી ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટીની નવસારીની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફુવારા બ્રાંચની વિશેષ મુલાકાત દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ સાથે ખાસ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. આ દરમ્યાન ચેરમેન શ્રી સેટ્ટી દ્વારા યુનિવર્સિટીના સમર્થનમાં આઈ.ટી. સંબંધિત સાધન (નેટવર્ક ફાયરવોલ) અને સંશોધન સંબંધિત સાધન (રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુજ) ની ખરીદી અર્થે કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ ને રૂપીયા ૨૩,૮૬,૦૦૦ નો ચેક અર્પણ કર્યો હતો. આ સાધનો નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે ખુબજ ઉપયોગી થશે. આ પ્રસંગે વિદ્યાર્થી કલ્યાણના નિયામક પ્રો. જયમીન નાયક અને હિસાબ નિયામક અને નિયંત્રણ અધિકારી (આઈ.ટી.) શ્રી ચિરાગ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા.
કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથેના નવસારી કૃષિ યુનિવર્સિટીના વર્ષોથી સુમેળભર્યા સંબંધો વર્ણવ્યા હતા અને ભવિષ્યમાં બંને સંસ્થાઓના સબંધો વધુ ગાઢ બની એક મેકની પ્રગતિમાં સહભાગી બને એવી આશા વ્યક્ત કરી હતી. શ્રી સેટ્ટીએ પણ નવસારી સાથેના એમના ભૂતકાળના સંસ્મરણો વાગોળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ નાં સ્વયંના સઘન પ્રયાસ અને માર્ગદર્શન હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટીના હિસાબ નિયામક અને નિયંત્રણ અધિકારી (આઈ.ટી.) શ્રી ચિરાગ નાયક તેમજ SBI નવસારીના રિજિયોનલ મેનેજર શ્રી સંજય ચૌહાણ (RBO); ચીફ મેનેજર શ્રી નીતિન મુકેશ આર્ય (RBO) અને SBI NAU કેમ્પસ બ્રાંચ ના મેનેજર શ્રી પ્રશાંત સોલંકીના સમર્પિત પ્રયાસો અને સહયોગથી આ નોંધપાત્ર ભંડોળ શક્ય બન્યું.